ગુજરાતમાં 25 મેના રોજ હૃદય કંપાવે તેવી એક દુર્ઘટના બની હતી. જેમાં રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 33 માસુમોના મોત થયા હોવાનું સામે આવ્યું હતુું. આ ઘટના બાદ રાજ્યના અન્ય શહેરોના તંત્ર દોડતા થયા છે. જે અંતર્ગત ફાયર NOC વગર ચાલતી તમામ મિલકતો કે સંસ્થાોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આટલું જ નહિ રાજકોટની આ ઘટના બન્યાના બીજા જ દિવસે સુરતમાં કેટલાક ગેમ ઝોન દ્વારા તાત્કાલિક ફાયરના સાધનો લગાવવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા સુરતના કેટલાક ગેમ ઝોન જેવા કે રિબાઉન્સ, વૂપ, શોટ, એક્સપ્લોર સીલ કરવામાં આવ્યા હતા. માત્ર ગેમઝોન જ નહિ પરંતુ ફાયર NOC મુદ્દે ઇસ્કોન મોલ, વેલેન્ટાઇન જેવા મોલ, હોસ્પિટલ, માર્કેટ, ક્લાસીસોને પણ સીલ કરવામાં આવી હતી.
પરંતુ ફાયર NOC માટે લોકોની બિલ્ડીંગ સીલ કરતી સુરત મનપાની જ 181 સ્કુલો પાસે ફાયર NOC નથી. પાલિકાની સ્કૂલમાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે તે સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાનું બહાર આવ્યું છે. તેમજ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આ બાજુ કોઇનું ધ્યાન જ નથી.
સુરતમાં ફાયર NOC મુદ્દે અનેક એકમો સીલ કરતી મનપા અને ફાયર વિભાગની ટીમ આ બાજુ ક્યારે ધ્યાન આપશે?