દેશમાં લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. આ તબક્કાના મતદાનનો પ્રચાર સમયગાળો પૂરો થયા બાદ પીએમ મોદી કન્યાકુમારી પહોંચ્યા હતા. હવે તેઓ 45 કલાક એટલે કે 1 જૂનની સાંજ સુધી દરિયામાં બનેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. આજે તેમના ધ્યાનનો બીજો દિવસ છે. પીએમ મોદીના ધ્યાનની ઘણી તસવીરો સામે આવી રહી છે.
![](https://surties.com/wp-content/uploads/2024/05/66586a48b7a2a-pm-modi-arrives-in-kanniyakumari-300002174-16x9-1-1024x576.jpg)
પીએમ નરેન્દ્ર મોદી તમિલનાડુના કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં 45 કલાક ધ્યાન માટે બેઠા છે. તે 1 જૂન સુધી ધ્યાન માં રહેશે. મોદી એ જ જગ્યાએ ધ્યાન કરી રહ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે 1892માં ધ્યાન કર્યું હતું.
![](https://surties.com/wp-content/uploads/2024/05/pm-modi_e63106c8f6194915a3258fb8d87a34d2.jpg)
તસવીરોમાં પીએમ મોદી કેસરી કુર્તામાં જોવા મળી રહ્યા છે. તેઓ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સામે બેસીને ધ્યાન કરી રહ્ય છે. તેમના હાથમાં માળા છે. આ ધ્યાન મંડપની ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશનો પ્રવાસ કર્યા બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ આ સ્થાન પર એક પગ પર ઉભા રહીને ધ્યાન કર્યું હતું.
![](https://surties.com/wp-content/uploads/2024/05/pm-modi_b25f31ecc732485ecc7e06bb7cc94f83.jpg)
પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કન્યાકુમારીમાં બહુસ્તરીય સુરક્ષા કોર્ડન બનાવવામાં આવ્યું છે. સમગ્ર કન્યાકુમારીમાં 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય તમિલનાડુ પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવીનું કોસ્ટલ સિક્યુરિટી ગ્રુપ પણ તૈનાત છે.
તમને જણાવી દઈએ કે, સામાન્ય ચૂંટણી પ્રચારના અંત પછી, પીએમ મોદી દરેક વખતે આધ્યાત્મિક યાત્રા પર જાય છે અને 2019ના ચૂંટણી પ્રચાર પછી તેઓ કેદારનાથ ગયા હતા અને વર્ષ 2014માં તેઓ શિવાજી મહારાજ સાથે સંબંધિત પ્રતાપગઢ ગયા હતા.