કથિત ભ્રષ્ટાચાર અને સગાવાદના અતિરેકને પગલે વિવાદોનું કેન્દ્ર બનેલ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિમાંથી રમણ પટેલ દ્વારા ચેરમેન પદે રાજીનામું આપ્યા બાદ આજે રમણ પટેલની ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે. એપીએમસી માર્કેટના વાઈસ ચેરમેન સંદિપ દેસાઈ દ્વારા આ સંદર્ભેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેને મોહન પટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
જોકે, બેઠક દરમ્યાન પૂર્વ ચેરમેન રમણ પટેલ અને જિલ્લા રજીસ્ટ્રારની સુચક ગેજહાજરી નજરે જોવા પડી હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી એપીએમસી માર્કેટમાં ત્રણ દાયકા જેટલા સમયગાળા દરમ્યાન એકહથ્થુ શાસન કરનાર રમણ પટેલ (જાની) વિરૂદ્ધ ડિરેકટરોએ રણશિંગૂ ફૂંક્યું હતું.
ભારે વિવાદો અને આક્ષેપોને પગલે અંતે રમણ જાની દ્વારા એપીએમસીના ચેરમેન પદેથી ભારે હૈયે રાજીનામું આપવામાં આવ્યું હતું. જો કે, રમણ જાની દ્વારા ચેરમેન પદે રાજીનામું આપ્યા બાદ એપીએમસીમાં નવા ચેરમેન માટે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચેરમેન પદ માટે રમણ અંબેલાલ પટેલની ઉમેદવારીની દરખાસ્ત સંદિપ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. જેને મોહન પટેલ દ્વારા સમર્થન આપવાની સાથે જ રમણ પટેલની દાવેદારી પ્રબળ બની હતી. જો કે, ચેરમેન પદ માટે અન્ય કોઈ ઉમ્મેદવાર દ્વારા દાવેદારી નોંધાવવામાં ન આવતાં અંતે તેઓની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
સામાજીક અગ્રણી અને છેલ્લા બે દાયકા જેટલા સમયથી એપીએમસીમાં ડિરેક્ટર પદે રહેલા રમણ અંબેલાલ પટેલના ચેરમેન પદે બિનહરીફ વરણીને તમામ 13 સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. જો કે, પૂર્વ ચેરમેન રમણ પટેલ સહિત જિલ્લા રજીસ્ટ્રારની ગેરહાજર હાજરી ઉડીને આંખે વળગી હતી.
Leave a Reply
View Comments