Surties : સુરતના પાંડેસરાના વેર હાઉસમાં આગનો બનાવ, ફાયરસેફટી ન હોવાથી ફટકારાશે નોટિસ

સુરતના પાંડેસરામાં એક વેરહાઉસમાં અચાનક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આસપાસના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે જ ગ્રાઉન્ડ વત્તા ત્રણ માળની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તો નોટિસ ફટકારવામાં આવશે.

આગના કારણે ગોડાઉનમાં રાખેલ જરૂરી કાગળો, ફાઈલ, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને શોર્ટ સર્કિટના કારણે વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું, એટલું જ નહીં બિલ્ડિંગને પણ નુકસાન થયું છે.

ફાયર વિભાગે જણાવ્યું કે કોલ લગભગ 3.01 વાગ્યે થયો હતો. ઓમ સાંઈ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં આગની માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગોડાઉનમાં પ્લાસ્ટિકની વસ્તુઓ હોવાના કારણે આગ લાગી હતી. જોકે એક કલાકમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગમાં સમગ્ર વેરહાઉસ બળીને રાખ થઈ ગયું હતું. આ વેરહાઉસ ગણેશ ટ્રેડર્સનું હોવાનું જાણવા મળ્યું હતું.