ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા છે. બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકના અવસાનથી ઈન્ડસ્ટ્રી હજુ ઉભરી નથી ત્યારે ફેમસ એક્ટર સમીર ખખ્ખરના નિધનથી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
તમને જણાવી દઈએ કે દૂરદર્શનના પ્રખ્યાત શો ‘નુક્કડ’માં ખોપરીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા 71 વર્ષીય અભિનેતા સમીર ખખ્ખરનું આજ નિધન થયું છે. અભિનેતા સમીર ખખ્ખરે મુંબઈ બોરીવલીમાં તેમના નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા હતા.
સમીર ખખ્ખર 90ના દાયકામાં ફિલ્મોમાં જાણીતો ચહેરો હતા અને ‘પુષ્પક’, ‘શહેનશાહ’, ‘રખવાલા’, ‘દિલવાલે’, ‘રાજા બાબુ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓ હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂર સાથે ‘ફર્ઝી’માં પણ જોવા મળ્યા હતા. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા માટે જતા રહ્યા હતા.
ગુજરાતી રંગભૂમિના કલાકાર સમીર ખખ્ખરે અમિતાભ બચ્ચન, ગોવિંદા, અમરીશપુરી, ધર્મેન્દ્ર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, નાના પાટેકર, સલમાન ખાન, કરિશ્મા કપૂર, રવીના ટંડન, અજય દેવગણ જેવા બોલીવુડના પ્રસિદ્ધ કલાકારો સાથે કામ કર્યું છે.
મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા ઘણા સમયથી શ્વાસ અને અન્ય સમસ્યાઓથી પીડાતા હતા અને ગઈકાલે બપોરે તેમને શ્વાસ સંબંધી સમસ્યા વધતા બોરીવલીની MM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર નજીકના સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
Leave a Reply
View Comments